Disclaimer :

અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Sunday, June 20, 2010

ગઝલ (Gujarati Gazals)

ગઝલ (Gujarati Gazals)

(કવિલોકમાં તમારા આગમનને વર્ણવા માટે આનાથી સારી રચના અમને કયાંથી મળવાની? )

ઉપવને (કવિલોક પર!) આગમન

તમારાં અહીં આજ પગલાં થવાનાં,

ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે.

ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,

ફૂલોની ય નીચી નજર થૈ ગઈ છે.

શરમનો કરી ડોળ સઘળું જુએ છે

કળી પાંદડીઓના પડદે રહીને,

ખરું જો કહી દઉં તો વાતાવરણ પર

તમારાં નયનની અસર થૈ ગઈ છે.

બધી રાત લોહીનું પાણી કરીને

બિછાવી છે મોતીની સેજો ઉષાએ,

પધારો કે આજે ચમનની યુવાની

બધાં સાધનોથી સભર થૈ ગઈ છે.

પરિમલની સાથે ગળે હાથ નાખી-

કરે છે અનિલ છેડતી કૂંપળોની,

ગજબની ઘડી છે તે પ્રત્યેક વસ્તુ,

પુરાણા મલાજાથી પર થૈ ગઈ છે.

ગની દહીંવાલા


કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે,

કળીઓને ગલીપચીથી હસાવી નહીં શકે.

મારા કવનનું આટલું ઊંડું મનન ન કર,

કંઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે.

ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન,

એક પળ એ એવી દેશે વિતાવી નહીં શકે.

અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા,

સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે.

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,

જ્યારે તને કશું ય સતવી નહીં શકે.

એવા કોઈ સમયને હું ઝંખું છું રાતદિન,

તું આવવાને ચાહે, ને આવી નહીં શકે.

એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે,

એ બહાર જો જશે તો બચાવી નહીં શકે.

વાસી અબ્બાસ અબ્દુલ અલી ( મરીઝ )

જન્મ: સુરત વસવાટ: મુંબાઈ વ્યવસાય: પત્રકાર

સુખનવર શ્રેણી ( મરીઝ ) માંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની


અદમ ટંકારવી

ગુજલિશ ગઝલો માંથી સાભાર

બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

વેબસાઇટ ઉપર મળે છે સનમ

ફ્લોપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો

અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં

તું મને સૅઇવ ક્યાં કરે છે સનમ

ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની પાછળ

ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅંક બૉર્ડ ઉપર

સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું

સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો

ફક્ત ઇ- મેઇલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવેર હવે

એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે

ઍંટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ

કિંતુ વિંડો તો ક્યાં ખૂલે છે સનમ



રમીએ

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,

ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,

પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,

બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,

છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,

પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,

મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,

અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

ગની દહીંવાળા



રાજેન્દ્ર શુક્લ

સામાય ધસી જઇયે, આધાંય ખસી જઇયે,
એકાદ મળે ક્ષણ તો ક્ષણમાંય વસી જઇયે.

આમેય વિતાવવાની છે રાત સરોવરમાં,
તો ચાલ કમલદલમાં આ રાત ફસી જઇયે.

એકેક કસોટીમાં છે પાર ઉતરવાનું,
હર શ્વાસ કસોટી છે, એનેય કસી જઇયે.

આ ફીણ તરંગોનાં છે શીખ સમંદરની,
રેતાળ કિનારા પર હેતાળ હસી જઇયે.

ઉત્કંઠ હવામાં છે સંગાથ સુગંઘોનો,
હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી જઇયે.

- રાજેન્દ્ર શુકલ



માભોમ આવે-

પરદેશમાં માભોમ કાજે હોમસીક કવિ દિલ મીઠી મૂંઝવણ અનુભવે છે.

સી યુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે

હાય હેલો ફ્રેંડશીપ બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે

હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના

ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે

પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે

હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે

હતાશ હું બેભાન રહું છો હો ઇ. આર. સારવારે

જોઉં તરત “કેમ છો” શબ્દ પડઘા થઈ આવે

ક્ષુધાસભર આળોટું વિદેશી વાનગી વચાળે

ખાઉં ઓડકાર જો ખીચડી ખાટી છાશ આવે

ચકરાઉં બસ નૉર્ડસ્ટ્રોમ મેસીસ ઝાકજમાળે

ચીંથરાને ચૂમું જો મૅઈડ ઈન ઇંડિયા આવે

લૉટરી કૂપન યા જૉબ-લેટર ગાર્બેજ ભાળે

ફાટેલ દેશી ટપાલમાં અક્ષર મોતી થૈ આવે

કુમ્ભકર્ણ થઈને નસ્કોરું ક્રીસમસનીય સવારે

સફાળો જાગું “જાગો રે” પ્રભાતિયે સાદ આવે

ભટકે બેતાળાભરી નયના ઇંટરનેટના મેળે

મળે ગુજરાતી ફોંટ તો બેસવાનું ઠામ આવે

ડોલર નામે સાહ્યબી છો ના દોમદોમ આવે

દોલતમાં દિલને ભાગે જો કાણી પાઇ આવે

દિલીપ આર. પટેલ

ઓરેંજ, કેલિફોર્નીયા

મે, 22, 2006




ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચેટ થઈ ગઈ

નાની અમસ્તી વાતમાં અપસૅટ થઈ ગઈ

હમણાં સુધી જે ધિસ હતી તે ધેટ થઈ ગઈ

અરવિંદને ઈંગ્લૅન્ડનો વીઝા મળી ગયો

ખાદીની એક ટોપી પછી હૅટ થઈ ગઈ

કૂતરો આ ફૂલફટાક તે ડૉગી બની ગયો

બિલ્લી બનીઠની ને હવે કૅટ થઈ ગઈ

ગુજરાતમાં હતી આ ગઝલ ગોળપાપડી

ઈંગ્લૅન્ડમાં આવી અને ચૉકલેટ થઈ ગઈ

હા, સ્વિટ નથિંગ્ઝ જેમ તું બોલી ગયો અદમ

ગુજલિસ કવિતા જાણે કે ચિટ્ચૅટ થઈ ગઈ

અદમ ટંકારવી

ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના પ્રણેતા.

ગુજલિશ ગઝલોમાંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની



મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે

ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે

માળાની ઝંખના નથી મારા વિહંગને

મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે

કરસનદાસ લુહાર

સૌંદર્યના એ પૃથ્થકરણમાં શું મજા ?

હર કોઈ વિષયમાં તું ગણતરીથી ન જા

એક ફૂલની સુંદરતા ને સૌરભ તો માણ

પાંખડીઓને ગણવામાં નથી કોઈ મજા

સતીષ ‘નકાબ’

અમસ્તી કોઈ પણ વસ્તુ નથી બનતી જગતમાંહે

કોઈનું રૂપ દિલના પ્રેમને વાચા અપાવે છે

ગઝલ સર્જાય ના ‘કૈલાસ’ દિલમાં દાહ લાગ્યા વિણ

પ્રથમ ઘેરાય છે વાદળ, પછી વરસાદ આવે છે

જીવવાનું એક કારણ નીકળ્યું

ધૂળમાં ઢાંકેલું બચપણ નીકળ્યું

મેં કફન માનીને લીધું હાથમાં

એ સુખી માણસનું પહેરણ નીકળ્યું

તરબતર આંખોય પ્યાસી નીકળી

રાતરાણીની ઉદાસી નીકળી

તારલા ઊઘડ્યાં ને મળતા આગિયા

ચાંદને જોવા અગાસી નીકળી

એકાદ એવી યાદ તો છોડી જવી હતી

છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી

વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે

થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી

ચાંદનીની રાહ એ જોતું નથી

આંગણું એકાંતને રોતું નથી

રાત પાસે આગિયા પણ હોય છે

એકલું અંધારું કાંઈ હોતું નથી

કૈલાસ પંડિત

પડછાયા ફક્ત તારે નગર રૂબરૂ મળે

લોકો મળે નહીં અને બસ આબરૂ મળે

ઊગે સવાર કંઠમાં લઈ બ્રહ્મરૂપ સ્વર

ને સાંજના ચરણમાં પછી ઘુંઘરું મળે

હું તું - હતા ને સામે તો સેના ઊભી હતી

કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?

માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો

તારો જ રથ હતો અને આ આંગળી હતી

રઈશ મણિયાર

સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં

ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં

જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ

પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં

ભવભાવથી ચણેલ શબ્દના બંધ તૂટે

તોપણ શી મજાલ છે કે કશે છંદ તૂટે?

જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત?

જાળવવા છતાં પણ અહીં સંબંધ તૂટે

જવાહર બક્ષી

માર્ગની આ ધૂળને શું ઉન્નતિ કે શું પતન?

સર્વનાં ચરણો તળે ચંપાઈ જાવું એ જીવન.

પાનખરનો અંચળો ઓઢી બહારો કાં રૂએ?

એ ખરે જાણી ગઈ છે મારા જેવાનુંય મન.

જે મસ્તી હોય આંખોમાં સુરાલયમાં નથી હોતી

અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી

શીતળતા પામવાને માનવી તું દોટ કાં મૂકે?

જે માની ગોદમાં છે એ હિમાલયમાં નથી હોતી

મેહુલ

અમર મુક્તકો ( ગુજરાતી સાહિત્યનો અમર વારસો ) માંથી સાભાર

સંપાદન: કૈલાસ પંડિત

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની



માણસ

અમે આંધી વચ્ચે તણખલાંના માણસ;

પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ.

ફટાણાંના માણસ, મરસિયાના માણસ;

અમે વારસાગત સમસ્યાના માણસ.

‘કદી’થી ‘સદી’ની અનિદ્રાના માણસ;

પ્રભાતોની શાશ્વત પ્રતીક્ષાના માણસ.

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ;

સડકવન્ત ઝિબ્રાતા ટોળાના માણસ.

શિખર? ખીણ? ધુમ્મસ? સૂરજ? કે કશું નૈં?

‘ટુ બી-નૉટ ટુ બી’ની ‘હા-ના’ના માણસ.

ભરત કોઈ ગૂંથતું રહે મોરલાનું;

અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ.

મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે;

હતા આપણે મૂળ તડકાના માણસ.

ભગવતીકુમાર શર્મા

જન્મ: સુરત (1934)

વ્યવસાય: પત્રકારત્વ


આદિલ મન્સૂરી

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?

દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,

તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

હો વમળમાં તો મનને મનાવી લઉં,

નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં

કોઈ પાલવ પ્રસારે, તો હું શું કરું?

તારી ઝૂલ્ફોમાં ટાંકી દઉં તારલાં,

પણ તું આવે સવારે, તો હું શું કરું?

આદિલ મન્સૂરી

જન્મ કરાંચીમાં, ઉછેર અમદાવાદમાં અને એમની શાયરીની બોલબાલા દિગદિગંતમાં; આદિલ મન્સૂરી પોતાની ઓળખ એક મિસરામાં આ રીતે આપે છે: ધર્મ, ધંધો જન્મ ને જાતિ ગઝલ ; અત્યારે અમેરિકામાં વસે છે, પણ એમનું હ્રદય હજી ભઠિયારગલીમાં ભમતું જોવા મળે છે- ચિનુ મોદી

સુખનવર શ્રેણી (આદિલ મન્સૂરી) માંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની



અદમ ટંકારવી

હું તો માનું છું કે હું છું શાયર

કિન્તુ ડાર્લિંગ કહે છે : લાયર

સ્હેજ અડતાં જ શૉક લાગે છે

લાગણી હોય છે લાઈવવાયર

અર્થનો રોડ છે ખાબડખૂબડ

ને વળી ફ્લૅટ શબ્દનું ટાયર

દૂર સહેજે નહિ તો દાઝી જઈશ

ધૅટ ગર્લ ઈઝ સ્પિટિંગ ફાયર

ફાસ્ટ ફૂડ જેવી ગઝલ વેચું છું

કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર?

અદમ ટંકારવી


બાગમાં ક્યાં હવે ફરે છે સનમ

વૅબસાઈટ ઉપર મળે છે સનમ

ફ્લૉપિ ડિસ્ક જેવો આ ચહેરો તારો

અન્ય ઉપમા તો ક્યાં જડે છે સનમ

મૅમરીમાં ય હું સચવાયો નહીં

તું મને સૅઈવ ક્યાં કરે છે સનમ

ડબ્લ્યુ ડબ્લ્યુ ડબ્લ્યુની પાછળ

ડૉટ થઈને તું ઝળહળે છે સનમ

આ હથેળીના બ્લૅન્ક બૉર્ડ ઉપર

સ્પર્શની કી જ ક્યાં મળે છે સનમ

શી ખબર કઈ રીતે ડીકોડ કરું

સિલિકોન ચિપ કશું કહે છે સનમ

ક્યાં છે રોમાંચ તારા અક્ષરનો

ફક્ત ઈ-મેઈલ મોકલે છે સનમ

દિલની ધડકન છે સૉફ્ટવૅર હવે

એને ગ્રૅફિકમાં ચીતરે છે સનમ

લાગણી પ્રૉગ્રામ્ડ થઈ ગઈ છે

ઍન્ટર ઍક્ઝિટ ફક્ત કરે છે સનમ

આંખ મારી આ થઈ ગઈ માઉસ

કિન્તુ વિન્ડૉ તો ક્યાં ખૂલે છે સનમ

અદમ ટંકારવી

ગુજરાતી ભાષાના એક સિધ્ધહસ્ત, પ્રથિતયશ ગઝલકાર; ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામના વતની; વર્તમાનકાળે બ્રિટનના રહીશ; ગુજલિશ ગઝલોના પ્રણેતા.

ગુજલિશ ગઝલોમાંથી સાભાર

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા: આર. આર. શેઠની કંપની


આદિલ મન્સૂરી

મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજકણ સુધી,

સેંકડો જન્મોની છાયા જિંદગીના રણ સુધી.

વાત વિસ્તરતી ગઈ કારણની સીમાઓની બ્હાર,

બુધ્ધિ તો અટકી ગઈ પહોંચીને બસ કારણ સુધી.

બ્હાર ઘટનાઓના સૂરજની ધજા ફરકે અને,

સ્વપ્નના જંગલનું અંધારું રહે પાંપણ સુધી.

નિત્ય પલટાતા સમયમાં અન્યની તો વાત શી,

મારો ચ્હેરો સાથ ના આપે મને દર્પણ સુધી.

કાંકરી પૃથ્વીની ખૂંચે છે પગે પગ ક્યારની,

આભની સીમાઓ પૂરી થાય છે ગોફણ સુધી.

કાળનું કરવું કે ત્યાં આદિલ સમય થંભી ગયો,

જ્યાં યુગોને હાથ પકડી લઈ ગયો હું ક્ષણ સુધી.

આદિલ મન્સૂરી



જે સપનું ચાંદનીનું છે

ખરીદી લીધું છે રાતે જે સપનું ચાંદનીનું છે

અરે ઓ સૂર્ય આ વેચાણ તારી રોશનીનું છે

થયા છે એકઠા પાછા ફરી શ્વાસોના સોદાગર

ફરી રસ્તા ઉપર લીલામ કોની જિંદગીનું છે

બિચારાનું હશે કિસ્મત રહ્યા અરમાન હસવાના

કફન તો સૂકવી આપો હજી આંસુથી ભીનું છે

અમે ભિક્ષુક ખરા પણ આટલું તો માન સચવાયું

હજી આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે

મળી છે રાત અંધારી અને બોલી નથી શકતા

અરે સૂરજના સોદાગર વચન તો ચાંદનીનું છે

કરે તપ દેશભક્તિનું નચાવે લોકશાહીને

બરાબર જોઈએ તો રૂપ આ નેતાગીરીનું છે

જરા ચેતીને આદમ ચાલજો નેતાની સંગતમાં

કે ખિસ્સામાં તો કાંટા છે અધર પર સ્મિત કળીનું છે

શેખાદમ આબુવાલા

સંત કબીર...જીવન અંજલિ થાજો ! કવિલોક, ભજન/ કીર્તન/ પદ/ગુજરાતી ભજન / કિર્તન, / કવિલોક

જીવન અંજલિ થાજો ! – કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો !

મારું જીવન અંજલિ થાજો !

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો;

દીનદુ:ખિયાનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો!

મારું જીવન અંજલિ થાજો !

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;

ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!

મારું જીવન અંજલિ થાજો !

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;

હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો !

મારું જીવન અંજલિ થાજો !

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો;

શ્રધ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!

મારું જીવન અંજલિ થાજો !

કરસનદાસ માણેક

ભજન કીર્તન પ્રાર્થના

હરિ વસે છે હરિના જનમાં મીરાંબાઈ
હરિ વસે છે હરિના જઠ

કહત કબીર
અધ્યાત્મ માર્ગના મુસાફરને એના ભોમિયા એવા ગુરુની અનિવાર્યતા વિશે સંત કબીર ક

જીવન અંજલિ થાજો !

!
દિલને દરબાર

કૃષ્ણ-રાધા

હરિને ભજતાં

અખિલ બ્રહ્માંડમાં

હાં રે વેણ વાગી - પ્રેમાનંદ સ્વામી

હાં રે વેણ વાગી રે વેણ વાગી,
હાં રે હું તો ઓચિંતાની ઝબકીને જાગી રે. – વેણ…

હાં રે મધ્યરાતે વગાડી અલબેલે,
હાં રે નંદલાલે રંગીલે રંદ છેલે રે.– વેણ…

હાં રે વહાલે મંત્ર ભણીને વજાડી,
હાં રે ભરી નિદ્રામાં સૂતી જગાડી રે. - વેણ…

હાં રે વાંસળીએ મારી પાંસળી વીંધી,
હાં રે બા’રે નિસરી કાળજડું ચીદી રે. - વેણ…

હાં રે મારા પ્રાણ હર્યા પાતળિયે,
હાં રે હવે ક્યારે મોહનજીને મળિયે રે. - વેણ…

હાં રે પ્રેમાનંદ કહે ઊઠી ઘેલી સરખી,
હાં રે ખૂંતી ચિત્તમાં મૂરતિ ગિરધરકી રે. - વેણ…

- પ્રેમાનંદ સ્વામી ( - જીવનઝાંખી )

હંસલા! સરવરનીલ સલામ - દામોદર ભટ્ટ ‘સુધાંશુ’

ઊપડ્યા લઇ પયગામ,
હંસલા! સરવરનીલ સલામ;
ગગનવિશાળા ગામ
હંસલા! સરવરનીલ સલામ

અમે રહ્યાં સરવર ને સામા,
સાગર ર્ યા બેફામ;
તમે અતિથિ અનહદ જાતા
કુરનિસ-ભર સલામ. - હંસલા! …

પવન સ્હેજો ને ઘનને કહેજો
વીજશિખર પર ધામ;
તમે તમારા ઘોડલે
બનજો બિન લગામ. - હંસલા! …

ઊપડ્યા લઇ પયગામ,
ગગનવિશાળા ગામ - હંસલા! …

- દામોદર ભટ્ટ ‘સુધાંશુ’

જન્મ – 25 ડીસેમ્બર – 1913 ; પોરબંદર
અવસાન – 29 માર્ચ – 1983
કાવ્ય સંગ્રહો - રામસાગર, અલખ તારો, સોહમ્

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના - નિષ્કુળાનંદ

ત્યાગ ન ટકે રે વૈરાગ વિના, કરીએ કોટિ ઉપાય જી;
અંતર ઊંડી ઇચ્છા રહે, તે કેમ કરીને તજાય જી? — ત્યાગ..

વેશ લીધો વૈરાગનો, દેશ રહી ગયો દૂર જી;
ઉપર વેશ આછો બન્યો, માંહી મોહ ભરપૂર જી. ? — ત્યાગ..

કામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી;
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી. ? — ત્યાગ..

ઉષ્ણ રતે અવની વિષે, બીજ નવ દીસે બહાર જી;
ઘન વરસે, વન પાંગરે, ઇંદ્રિ વિષય આકાર જી. — ત્યાગ..

ચમક દેખીને લોહ ચળે, ઇંદ્રિ વિષય સંજોગ જી;
અણભેટ્યે રે અભાવ છે, ભેટ્યે ભોગવશે ભોગ જી. — ત્યાગ..

ઉપર તજે ને અંતર ભજે, એમ ન સરે અરથ જી;
વણસ્યો રે વર્ણાશ્રમ થકી, અંતે કરશે અનરથ જી— ત્યાગ..

ભ્રષ્ટ થયો જોગ ભોગથી, જેમ બગડ્યું દૂધ જી,
ગયું ધૃત –મહી - માખણ થકી, આપે થયું રે અશુધ્ધ જી. — ત્યાગ..

પળમાં જોગી રે ભોગી પળમાં, પળમાં ગૃહી ને ત્યાગી જી;
નિષ્કુળાનંદ એ નરનો, વનસમજ્યો વૈરાગ જી. — ત્યાગ..

- નિષ્કુળાનંદ ( જીવનઝાંખી)


બ્રહ્માનંદ સ્વામી

રે શિર સાટે નટવરને વરીએ

રે શિર સાટે નટવરને વરીએ, રે પાછાં તે પગલાં નવ ભરીએ;

રે અંતર દ્રષ્ટિ કરી ખોળ્યું, રે ડહાપણ ઝાઝું નવ ડહોળ્યું;

એ હરિ સારુ માથું ઘોળ્યું.

રે સમજ્યા વિના નવ નીસરીએ, રે રણમધ્યે જઈને નવ ડરીએ;

ત્યાં મુખપાણી રાખી મરીએ ..રે શિર..

રે પ્રથમ ચડે શૂરો થઈને, રે ભાગે પાછો રણમાં જઈને;

તે શું જીવે ભૂંડું મુખ લઈને.. રે શિર..

રે પહેલું જ મનમાં ત્રેવડીએ, રે હોડે હોડે જુધ્ધે નવ ચડીએ;

જો ચડીએ તો કટકા થઈ પડીએ.. રે શિર..

રે રંગ સહિત હરિને રટીએ, રે હાક વાગે પાછા નવ હટીએ;

બ્રહ્માનંદ કહે ત્યાં મરી મટીએ.. રે શિર..

બ્રહ્માનંદ સ્વામી



દયારામ

શ્યામ રંગ

શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું.

જેમાં કાળાશ તે તો સૌ એકસરખું, સર્વમાં કપટ હશે આવું…. મારે..

કસ્તુરી કેરી બિંદી તો કરું નહીં, કાજળ ના આંખમાં અંજાવું…. મારે…

કોકિલાનો શબ્દ હું સુણું નહીં કાને, કાગવાણી શકુનમાં ન લાવું…. મારે…

નીલાંબર કાળી કંચુકી ન પહેરું, જમનાનાં નીરમાં ન ન્હાવું…. મારે…

મરકતમણિ ને મેધ દ્રષ્ટે ના જોવા, જાંબુવંત્યાક ના ખાવું…. મારે…

દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો, મન કહે જે ‘પલક ના નિભાવું!’… મારે…

દયારામ


નરસિંહ મહેતા

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,

જૂજવે રૂપે અનંત ભાસે

દેહમાં દેવ તું તેજમાં તત્વ તું,

શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે..

પવન તું, પાણી તું, ભૂધરા!

વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;

વિવિધ રચના કરી અનેક રસ લેવાને,

શિવ થકી જીવ થયો એજ આશે..

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે,

કનક-કુંડળ વિશે ભેદ ન્હોયે,

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં

અંતે તો હેમનું હેમ હોયે..

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી

જેહને જે ગમે તેને પૂજે

મન-વચન-કર્મથી આપ માની લહે,

સત્ય છે એજ મન એમ સૂઝે..

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું,

જોઉં પટંતરો એજ પાસે,

ભણે નરસૈયો એ મન તણી શોધના,

પ્રીત કરૂં, પેમથી પ્રગટ થાશે..

નરસિંહ મહેતા


વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે...(નરસિંહ મહેતા)


હરિને ભજતાં

ગેમલ

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;

જેની સુરતા શામળિયા સાથ, વદે વેદ વાણી રે.

વહાલે ઉગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;

વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને…

વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;

ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને…

વહાલે મીરાં તે બાઈનાં વિખ હળાહળ પીધાં રે;

પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવકામ કીધાં રે. હરિને…

વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;

ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુ:ખ હરિયાં રે. હરિને…

ગેમલ


હરિ વસે છે હરિના જનમાં

હરિ વસે છે હરિના જનમાં,

શું કરશો જઈ વનમાં… ટેક

ભેખ ધરીને તમે શીદ ભટકો છો,

પ્રભુ નથી વન કે અરણ્યમાં;

કાશીએ જાઓ ભલે ગંગામાં ન્હાવો,

પ્રભુ નથી પાણી કે પવનમાં… હરિ..

જોગ કરો ભલે જગન કરાવો,

પ્રભુ નથી વ્યોમ કે હવનમાં;

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરનાગર,

હરિ વસે છે હરિના જનમાં… હરિ..

મીરાંબાઈ


કહત કબીર

અધ્યાત્મ માર્ગના મુસાફરને એના ભોમિયા એવા ગુરુની અનિવાર્યતા વિશે સંત કબીર કહે છે…

ગુરુ બિન કૌન બતાવે બાટ ? બડા વિકટ યમઘાટ…

ભ્રાંતિ કી પહાડી નદિયા બિચમેં અહંકાર કી લાટ…

કામ ક્રોધ દો પર્વત ઠાડે લોભ ચોર સંઘાત…

મદ મત્સરકા મેહ બરસત માયા પવન બહે દાટ…

કહત કબીર સુનો ભાઈ સાધો, ક્યોં તરના યહ ઘાટ…

સંત કબીર